14 મે 2026

જીવતા ગંગાબા કોડીના, મુઆ પછી સવા ચાર લાખના - ગુજરતી લઘુ બોધ વાર્તા

 

જીવતા ગંગાબા કોડીના, મુઆ પછી સવા ચાર લાખના

 ---------------------------------------------------------------------------------------------------------------------------

        સાંજ ઢળવા લાગી હતી, એસ.જી.હાઈવે પર ટ્રાફિક વધતો જતો હતો. અમર અને અમિતા ગાંધીનગરથી કામ પતાવીને આવી રહ્યા હતા, ત્યાં રસ્તામાં વૃદ્ધ માજી હાથમાં પોટલું દબાવીને બેઠેલા જોયા. માજીનું મોં બેસી ગયેલું, બોખું, આછા પાતળા વાળ, જાડા ડાબલા જેવા ચશ્માં અને રોતલ ચહેરો જોઇ અમરને દયા આવી, ગાડી ઉભી રાખીને માજીને પુછ્યું, "માજી, કેમ એકલા બેઠા છો ? ક્યાંથી આવો છો ?" માજી રડી પડ્યા, "સાહેબ, બે દિવસથી કાઈ ખાધું નથી. મારું નામ ગંગાબેન પ્રજાપતિ, અમને ગામડે ઘર અને ખેતર બધું છે, પણ મારા દીકરા અને વહુએ બધુ પચાવી પાડ્યું છે, મને ખાવાનું પણ નથી આપતા, અને રૂમમાં પૂરી રાખે છે. હું ઘરેથી ભાગીને ટ્રકમાં અહી સુધી આવી ગઈ છું."

        અમર અને અમિતાને દયા આવી ગઈ. તેમણે માજીને ગાડીમાં બેસાડ્યા અને બાજુના ચાનાં ગલ્લે લઇ જઈ,ચા અને બિસ્કીટનો નાસ્તો કરાવ્યો. ગંગામાંએ પેટ ભરીને નાસ્તો કરી લીધો. બે દિવસના ભૂખ્યા હોવાથી બાર પંદર બિસ્કીટ ખાઈ ગયા. અમર અને અમિતા જોતા રહી ગયા. "ગંગામાં, તમને ક્યા ઉતારું ?" અમરે માજીને દયાભાવથી પુછ્યું. "બેટા, ઘરેથી ભાગીને આવી છું, અહી અમદાવાદમાં મારું કોઈ નથી. ક્યા જવું તે  ખબર નથી. મને કોઈ કામ અપાવી દો, હું કંઈપણ નાનું મોટું કામ કરવા તૈયાર છું. મને બીજું કંઈ જોઈતું નથી, ફક્ત બે ટાઈમ રોટલા અને રહેવાનું છાપરું મળી જાય એટલે બસ." માજી એકીશ્વાસે રડમસ અવાજે બોલ્યા. અમર અને અમિતા બંને નોકરી કરતા હતા. તેમને દશ વર્ષનો એક દીકરો આશુલ હતો, તેને તૈયાર કરી સવારે દશ વાગે સ્કુલે મોકલવો,પાંચ વાગે આવે તે પહેલા ઘર ખોલી દેવું, આ બધા કામ અમિતા માટે મુશ્કેલ હતા. એ લોકો ચોવીસ કલાક ઘરે રહી કામ કરે તેવું માણસ શોધતા હતા, પણ કંઈ મેળ પડતો ન હતો. બંનેને વિચાર કરતા ગંગામાં તેને માટે એકદમ યોગ્ય લાગ્યા.

        `"ગંગામાં, તમને અમારે ઘેર રહી કામ કરવું ફાવશે ? અમે તમને બે ટાઈમ જમવા, ચા પાણી, અને રહેવા રૂમ આપીશું." અમરે કહ્યું. "હા, હા, બેટા કેમ નહિ. મને કચરાંપોતા, વાસણ, સાફસફાઈ વિગેરે બધા કામ આવડે છે." કહેતા માજી ખુશ થઇ ગયા. ગંગામાને તેમના ઘરના સર્વન્ટ રૂમમાં રહેવા આપી દીધું. ઘરના બધા નાનામોટા કામ ગંગામાં કુનેહપૂર્વક કરવા લાગ્યા. આશુલને પણ ગંગામાં સાથે ફાવી ગયું. અમર અને અમિતા વિચારતા કે ગંગામાંને કોઈ શોધતું કેમ આવતું નથી.?

        છ મહિના વીતી ગયા, એંસી વરસના ગંગામાં ચોમાસામાં સખત તાવમાં ફસાયા. બા ને બહુ પુછપરછ કરી, તેનું એડ્રેસ કે તેના દીકરાનો કોઈ મોબાઈલ નંબર ક્યાંય લખેલો હોય તો આપે. અંતે ગંગાબાએ ધ્રુજતાં હાથે એક ચીઠી આપી તેમાં તેના દીકરાનું નામ અનીલ પ્રજાપતિ અને તેનો મોબાઈલ નંબર લખેલા હતા.  અમરભાઈએ સવારના નવ વાગે અનિલને ફોન લગાડ્યો. "હેલ્લો, કોણ ?"

        "હું અનીલ પ્રજાપતિ, ધોળકા પાસેના વાલથેરા ગામથી બોલું છું, તમે કોણ? શું કામ છે ? બોલો." અનિલે કહ્યું. "અનિલભાઈ, તમારી માં ગંગાબા અમારે ઘેર છે, તેમને સખત તાવ અને નબળાઈ છે, તમે આવીને તમારે ઘેર લઇ જાઓ." અમિતભાઈએ સમજાવતા કહ્યું, "હું અહી અમદાવાદથી બોલું છું અને મારું એડ્રેસ મોકલાવું છું."

        "જુઓ, અમરભાઈ, ગંગાડોશી અમારા બંને સાથે ઝગડો કરીને ઘર છોડીને ભાગી ગયા છે, જેમ ફાવે તેમ બોલીને ઝગડા કરે છે." અનિલે ગુસ્સે થઈને જવાબ આપતા કહ્યું.

        "જો અત્યારે તેમને બહુ તાવ છે, તેની સેવા કરવી તમારી ફરજ છે. તમે લોકોએ તેનું ઘર અને જમીન પણ પડાવી લીધા છે." અમિત હવે ગુસ્સે ભરાયો.

        "શું વાત કરો છો ? એ ડોશી જુઠ્ઠું બોલે છે, અમે તેનું કંઈ લીધું નથી. આ બધું બાપા મારા નામે કરી ગયા છે, ડોશીની કિંમત એક પૈસાની પણ નથી." અનીલે પણ સામે ગુસ્સે થઇ ફોન કાપી નાખ્યો.

        અમર અને અમિતા આ સંવાદથી દુ:ખી થઇ ગયા. જન્મ આપીને સુખેદુ:ખે ઉછેરનાર માં ની કિંમત કોડીની કરી નાખી ? શું થાય ? કળિયુગ ચાલે છે. દીકરાને મન માની કિંમત કોડીની હતી.

        ગંગામાંથી ઉંમર, બીમારી અને નબળાઈને લીધે કોઈ કામ થતું ન હતું. છતાં પણ અમિતભાઈ અને અમીતાબેને તેમની દિલ દઈને સેવા કરી. અંતે એક દિવસ આ દુનિયાને છોડી વિદાય થયા. હવે તો તેમના દીકરા અને વહુને બોલાવવા જ પડે. અમરભાઈએ ફોન કર્યો કે તરત જ ત્રણ કલાકમાં તો અનિલભાઈ અને તેની પત્ની ઈલા આવી પહોંચ્યા, માજીનું ડેથ સર્ટિફિકેટ ડૉ.ભટ્ટ સાહેબે આપી દીધા, પછી અંતિમ સંસ્કાર પણ થઇ ગયા. અનીલ અને ઈલાનું બદલાયેલું વલણ બંનેને ન સમજાયું. જીવતા માજીને લઇ જવાનો ઇનકાર કરનાર દીકરા વહુ મરણમાં આટલો શોક સાથે એકદમ કેમ આવી ગયા ? ચાલો, કઈ નહી અંતે તો દીકરાને માં પ્રત્યે ભાવ જાગ્યોને, વિચારી તેનું પોટલું અને ડેથ સર્ટિફિકેટ લઇ બંને પરત ફર્યા. વાત મહિનામાં ભુલાઈ ગઈ.

        મહિના પછી અચાનક અમર ઉપર લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, ધોળકા બ્રાંચનાં મેનેજરનો ફોન આવ્યો, "હેલ્લો, કોણ અમરભાઈ શાહ ? હું એલ.આઈ.સી., ધોળકા બ્રાંચ મેનેજર બોલું છું."

        "હા, બોલો શું કામ છે ?" અમરને નવાઈ લાગી. "ગંગાબા તમારે ત્યાં મૃત્યુ પામ્યા હતા ? તે કુદરતી મૃત્યુ હતું ને !" મેનેજરે પુછપરછ કરતા કહ્યું. "હા, હા, કેમ ? તેનું અત્યારે શું છે ?" અમરે જવાબ આપતા કહ્યું."અમારે ઈન્કવાયરી કરવી પડે. તેમનું મોત કુદરતી હોય તો જ તેના પતિએ લીધેલ વીમાનાં ચાર લાખ અને બોનસનાં પચીસ હજાર સાથે સવા ચાર લાખ આપી શકીએ, તેના વારસદાર દીકરા અનિલે કલેઈમ મુકેલો છે." મેનેજરે ફોડ પડતા કહ્યું.

        "ઓહ ! એમ વાત છે. પણ તમને મારો નંબર કોણે આપ્યો ?" અમરે આશ્ચર્ય સાથે પુછ્યું.

        "ગંગાબાનું ડેથ સર્ટિફિકેટ ડૉ. ભટ્ટ સાહેબે આપેલું ને, તેમણે તમારો મોબાઈલ નંબર આપેલ છે. જો ગંગાબાનું મૃત્યુ કુદરતી હોય તો અમે તેમના વીમાના સવા ચાર લાખ પાસ કરી દઈએ."

        "જરૂરથી સાહેબ"અમરે ફોન મુકીને અમિતાને વાત કરતા તેના દીકરા વહુનું બદલાયેલ વલણનો તાગ મળી ગયો.

લાસ્ટ સ્ટ્રોક : ઘરડા માબાપની સેવા કરવાને બદલે કાઢી મુકનાર સંતાનોને અંતે તો ફાયદો કરાવતા જ           જાય છે, તો પછી અવગણવાને બદલે સેવા કરો ને !

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

જીવતા ગંગાબા કોડીના, મુઆ પછી સવા ચાર લાખના - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

13 મે 2026

ઘર બાળીને ગામમાં અજવાળું ન ફેલાવાય - ગુજરતી લઘુ બોધ વાર્તા

 

ઘર બાળીને ગામમાં અજવાળું ન ફેલાવાય

 ----------------------------------------------------------------------------------------------------------------------------

         એશિયાની સૌથી મોટી હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. હરીશભાઈ સવારમાં વહેલા આવીને દોડાદોડ કરી રહ્યા હતા. આજે સવારે ૧૦ વાગે રાજ્યના આરોગ્યમંત્રી મનસુખભાઈ ત્રિવેદીનાં હસ્તે નવા જ આવેલા બે એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણનો કાર્યક્રમ સાથે સાથે સુપ્રિન્ટેન્ડન્ટ હરીશભાઈનું બહુમાનનો પણ પ્રોગ્રામ હતો.

        છેલ્લા બે વર્ષમાં હરીશભાઈ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા પછી સિવિલમાં વહીવટ ખુબ સુધરી ગયો હતો. દરેક ડીપાર્ટમેન્ટની સેવામાં ધરખમ સુધારો હતો. લોકો સારી સેવાની કદરરૂપે હરીશભાઈના વખાણ કરતા થાકતા જ નહી. આખી હોસ્પીટલની સ્વચ્છતા પણ ખુબ જ સુધારી હતી. સેનીટરી ઇન્સ્પેક્ટરો પણ હરીશભાઈની સાથે રાઉન્ડમાં પૂરી ચોકસાઈથી સૂચનો કરતા હોવાથી હોસ્પીટલનો ખૂણેખૂણો અને વોર્ડના તમામ બેડ સ્વચ્છ રહેતા હતા. દરરોજ હજારોની સંખ્યામાં પુરા ગુજરાતમાંથી અને મધ્યપ્રદેશ તથા રાજ્સ્થાનનાં પણ દર્દીઓ લાભ લઇ રહ્યા હતા. બહારગામના દર્દીઓના સગાને રહેવા અને જમવા માટે હરિશભાઈએ મહેનત કરીને ખસ જોગવાઈ કરી હતી. દાતાઓ પાસેથી દસ કરોડનું અનુદાન મેળવીને બે નવા જ એમ.આર.આઈ. મશીન વસાવી આજે લોકાર્પણ કરવાનો સમય આવી ગયો.

        સવારના પોણાદશ વાગે તો પોલીસની ગાડીઓની પાછળ આરોગ્યમંત્રી કાફલા સાથે આવી પહોંચ્યા. તેમની સાથે હેલ્થ ડીપાર્ટમેન્ટનાં સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી તથા ઓફિસ સ્ટાફ પણ જોડાયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ હરેશભાઈ મુખ્ય દરવાજે તેમના સત્કાર માટે દોડ્યા. મંત્રીશ્રીને હરીશભાઈ માટે અંગત માન હતું. તેમની નિયમિતતા, કડપ, વહીવટી કુશળતાનાં વખાણ સાંભળેલા હતા.

        "પધારો, મંત્રી શ્રી, સિવિલ હોસ્પિટલમાં આપનું સ્વાગત છે." હરીશભાઈએ આવકાર્યા. .

        "ચાલો, પહેલા રાઉન્ડ લઇ લઈએ , પછી ઉદ્ઘાટનની કામગીરી પતાવીએ." મંત્રીશ્રીએ કહ્યું.

        સિવિલના રાઉન્ડમાં ચારેતરફ હરીશભાઈની વાહ વાહ સાંભળીને મંત્રીશ્રીએ એમ.આર.આઈ. લોકાર્પણનાં પ્રવચનમાં પણ હરીશભાઈને કામગીરી બિરદાવી અને કહ્યું કે, હજુ બે વર્ષનો કાર્યકાળ પૂરો કરે તો હોસ્પીટલની સિકલ જ ફરી જશે. છેવટે ચા-નાસ્તાને ન્યાય આપતા હરીશભાઈએ મંત્રીશ્રીને વિનંતીપૂર્વક સ્વૈચ્છિક રીટાયરમેન્ટ માટે રાજીનામું આપવાનો કાગળ આપ્યો. મંત્રીશ્રી અજાયબ થતા બોલ્યા, "હરીશભાઈ, તમારા તો આટલા બધા વખાણ થયા અને તમે વી,આર.એસ. લેવાની વાત કરો છો?"

        "સાહેબ, વાત એમ છે કે મારા પત્નીને બે વરસથી આંખોની નસ સુકાતા દેખાવાનું બંધ થઇ ગયું છે, મારી એકની એક છોકરીના બે મહિના પહેલા જ લગ્ન થઇ ગયા જતાં મારા પત્ની ઘેર એકલા જ હોય છે." હરીશભાઈ દુ:ખી થતા પોતાની વ્યથા કહી.   "પણ તમારે ઘેર નોકરચાકર તો હશે ને !" મંત્રીશ્રીને નવાઈ લાગી.

        "હા, આયા અને નોકર છે, પણ તે કેટલું ધ્યાન રાખે ? મારી હાજરી ઘેર જરૂરી છે." હરિશભાઈ વિનંતી કરતા બોલ્યા.

        "સારું, તમારી મરજી, આટલી સારી પોસ્ટ અને પગાર છોડતા પહેલા ફેરવિચારણા કરશો."
 મંત્રીએ કહ્યું.

        "ના, મેં નક્કી જ કરેલ છે. હું આવતા મહીને છુટો જ થવા માંગુ છું." હરીશભાઈ મક્કમ હતા. આરોગ્યમંત્રીને ગાડીમાં બેસતા લાગ્યું કે હરીશભાઈ ખોટી ઉતાવળ કરીને રાજીનામું આપી રહ્યા છે,પણ શું થાય ?

        અચાનક તેમને તેમના પત્ની માલતીબેન યાદ આવી ગયા. પંદર દિવસ પહેલા જ તેમને લકવાનો એટેક આવતા પથારીવશ થયા હતા. તેના પણ આવા જ હાલ થશે કે શું ? વિચારે ચડ્યા, મારો દીકરો પણ કેનેડામાં જ છે ને !!!!

        ના, ના, મેં તો બે સિસ્ટર, બે આયાઓ, એક અટેન્ડન્ટ અને એક નોકર એમ છ માણસોનો સ્ટાફ રાખેલ છે, એટલે વાંધો નથી. ત્યાં તેમના સબ્કોન્સીયસ મને લપડાક મારી, "મુરખ, માણસો પર કેટલો ભરોસો કરાય ? એક વખત રૂબરૂ તપાસ તો કર." સાંજના સાત વાગ્યે પોતાના બંગલેથી આગળ મંત્રી ઉતરી ગયા. ધીમા પગલે ચાલતા પહોંચી પોતાની ચાવીથી દરવાજો ખોલી અંદર આવ્યા.

        બહાર ડ્રોઈંગરૂમમાં તેમના છ માણસોનાં સ્ટાફના અવાજ આવી રહ્યા હતા. પાછળનાં ભાગમાં ધીમેથી ડ્રોઈંગરૂમમાં જોયું તો બે સિસ્ટર અને બે આયા પત્તા રમી રહ્યા હતા. નોકર અને અટેન્ડન્ટ ટીવીમાં મેચની હાઈલાઈટ જોતા હતા. એક સિસ્ટર બોલી, "આપણાં ત્રિવેદી સાહેબ અચાનક આવી જશે તો ?"

        ત્યાં બીજી સિસ્ટરે તાલી મારતા કહ્યું, "જવા દે ને ! એને ટાઈમ ક્યા છે ? રાતનાં દશ પહેલા એ આવે જ નહીં !" આરોગ્યમંત્રીશ્રીની હાલત કાપો તો લોહી ના નીકળે !

        ધીમેથી તેમના બાજુના બેડરૂમમાં ગયા, લકવાગ્રસ્ત માલતીબેન ખુલ્લા પડ્યા હતા. તેનાથી ઝાડા, પેશાબ થઇ ગયા હોવાથી, માખીઓ બણબણતી હતી, શરીર પર બે મંકોડા ચડી ગયા હતા, પણ માલતીબેન હાલીચાલી કે બોલી શકતા ન હતા. પણ સામે પતિને જોતા તેમની આંખોમાંથી અશ્રુઓની ધાર છૂટી.

        આરોગ્યમંત્રી હબક ખાઈ ગયા. સમગ્ર ગુજરાતના આરોગ્યની ચિંતા કરનારની પત્નીના આરોગ્યના આવા હાલ !!!  તરત જ તેમણે મુખ્યમંત્રીને ફોન દોડ્યો, "સાહેબ, આજે આ ઘડીથી જ મારું મંત્રી તરીકેનું રાજીનામું સ્વીકારી મને ફરજમાંથી મુક્ત કરો."

        "અરે મનસુખભાઈ, તમે તો આખા ગુજરાતનું આરોગ્ય આરોગ્ય સુધારી રહ્યા છો, આમ એકાએક રાજીનામું કેમ ? "સાહેબ, મારી પત્ની માલતીને લકવો થયા પછી હાલત ગંભીર છે, મારે તેની પાસે રહેવું પડશે." મનસુખભાઈએ જવાબ વાળ્યો.

        "પણ એકદમ કેમ ? તમારી પાસે તો પુરતો સ્ટાફ છે, હજી વધારે મૂકી આપું. તમે તો પ્રદેશમાં આરોગ્યનો ઉજાસ ફેલાવ્યો છે, તમારા થકી તો રાજ્યમાં આરોગ્યસેવાઓ ઉત્તમ બની રહી છે અને હજી વધારે સારી બનશે એવો રાજ્યને અને પાર્ટીને વિશ્વાસ છે." મુખ્યમંત્રી ચિંતિત સ્વરે બોલ્યાં.

        "સાહેબ, માણસો એ અંતે માણસો જ છે. ઘરના માણસની ચાકરી તેના અંગત સગા કરે તો જ સારું. મારી પત્ની ને લકવો છે તેથી તે હાલી ચાલી શકતી નથી તેથી મારે જ તેની પાસે રહેવું જરૂરી છે." કહેતા મનસુખભાઈ રડવા જેવા થઇ ગયા. "સાહેબ, ઘર બાળીને ગામમાં ઉજાસ ના ફેલાવાય, ટૂંકાણમાં એટલું સમજીને મારું રાજીનામું મંજુર કરો." કહેતા મનસુખભાઈ રડી પડ્યા.

        લાસ્ટ સ્ટ્રોક : - તમે ગમે તેટલી સંપતિ અને સત્તાવાળા હોય, પણ કુટુંબના માણસોની આરોગ્ય માવજત માટે પગારદાર માણસો પર ભરોસો ક્યારેય ન કરાય. તમારી અંગત હાજરી જ જરૂરી છે.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ઘર બાળીને ગામમાં અજવાળું ન ફેલાવાય - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

29 એપ્રિલ 2026

વીરુ જલ્લાદ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

વીરુ જલ્લાદ      

-----------------------------------------------------------------------------------------------------------------------------

        "સાહેબ, મેં ખૂન નથી કર્યું, મને ફસાવી દેવામાં આવ્યો છે." કેતન ફરીફરીને કહી રહ્યો હતો, પણ કોર્ટમાં તેને સાંભળે કોણ? કેતન ઉપર તેની ઓફિસમાં કામ કરતી કામિની પર બળાત્કાર કરી તેનું ખૂન કરવાનો આરોપ હતો.

        સામસામે બે વકીલો કેસ લડી રહ્યા હતા. કોર્ટને તો પુરાવા જોઈએ છે, દલીલો નહિ.

        યુવાન વિમલશેઠની નજર કામિની પર બગડેલી જ હતી. ગુરુવારની સાંજે ઓફિસમાં કેતન અને કામિની જ હતા. વિમલશેઠે કાળું કૃત્ય કરી કેતનની આમાં ફસાવી દીધો. પોલીસને ચિક્કાર પૈસા ખવડાવ્યા હોવાથી પોલીસે કેસ નોંધતી વખતે જ તમામ પુરાવા કરોડપતિ વિમલશેઠને બદલે કેતન તરફ જ નિર્દેશ કરતા ગોઠવી કાઢ્યા હતા. કેતન તેમને ત્યાં માત્ર કામ કરતો કર્મચારી હતો.

        વિમલે કામિનીને પોતાની ઓફિસમાં બોલાવી જબરજસ્તી કરી બળાત્કાર કર્યો, પણ કામિનીનો વિરોધ હોવાથી અંતે તેનું ગળું દબાવી ખૂન કરી, ઓફીસ બહારથી લોક કરી તરત જ પોલીસને ફોન કરી બોલાવી, તેમાં અંદર કામ કરતો કેતન ફસાઈ ગયો.

        છેવટે કોર્ટના મેજીસ્ટ્રેટ સાહેબે ઓર્ડર કર્યો કે દરેક આરોપી પોતાને નિર્દોષ જ કહે છે, પરંતુ તમામ પુરાવાને આધારે સાબિત થાય છે કે આરોપી કેતન મહેતાએ ખુબ જ બેરહેમીથી બળાત્કાર કરી કામિનીનું ખૂન કરેલ છે. તેથી તેને તહોમતદાર ઠરાવી સમાજમાં દાખલો બેસે એટલે કલમ ૩૦૨ અન્વયે ફાંસીની સંજા ફરમાવે છે. હેંગ ટીલ ડેથ." એમ કરીને જજ સાહેબે ઇન્કપેનની નિબ તોડી નાખી. કેતન આ ઓર્ડર સાંભળી રડી પડ્યો.

        કેતને બહુ જ વિનંતીઓ કરી, કાલાવાલા કર્યાં, ઉપલી કોર્ટોમાં અપીલ કરી, પણ વ્યર્થ. છેવટે દયાની અરજી પણ રાષ્ટ્રપતિએ નકારી કાઢી એટલે હવે તો મહિના પછી ફાંસી નક્કી જ હતી. તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો.

        સાબરમતી જેલમાં કેતન બધા કેદીઓ સાથે ખુબ હળીમળી ગયો હતો, બધા સાથે તે ખુબ જ વિનય અને સહિષ્ણુતાથી વર્તતો હતો. જેલર ચુડાસમા સાહેબ પણ કેતનના આવા સહિષ્ણુતાભર્યા વર્તનથી વિચારતા થઇ ગયા કે આવો માણસ એક માસુમ કન્યાને બળાત્કાર કરી ખૂન કરી જ ના શકે.

કોર્ટમાં કેસ સાબિત થઇ ચુક્યો હતો, એટલે શું થાય ?

        કોર્ટના ઓર્ડરની તામિલ તો કરવી જ પડે ને. ઓર્ડર એટલે ઓર્ડર. કેતનને હવે આ ફાની દુનિયામાં જીવતા રહેવાની જિજીવિષા જ મરી પરવારી હતી.

        અંતે એ ગોઝારો શુક્રવાર, ફાંસીનો દિવસ નજીક આવી ગયો. જેલના તમામ આગલા દિવસથી કેતનના નામની પૂજાપાઠ અને પ્રાર્થના કરી રહ્યા હતા. ગુરુવારની રાત્રે કેતનને પણ ખ્યાલ આવી ગયો કે આવતી કાલે સવારે સાડા પાંચ વાગે તો મારી ફાંસી નક્કી જ છે. તેને આખી રાત ઊંઘ ક્યાંથી આવે ? તેનું મગજ સુન્ન પડી ગયું.

        શુક્રવારે સવારે વહેલા ચાર વાગે તેને નવડાવી, નવા ખમીસ અને લેંઘો પહેરાવવામાં આવ્યા. બહારનું જગત ગાઢ નિંદ્રામાં ઊંઘનો આસ્વાદ માણી રહ્યું હતું. કેતનને હવે આ દગાબાજ દુનિયામાંથી છુટકારો મેળવવો હતો. "મને જલ્દી છુટકારો" આપો નાં નારા સાથે તે ચાલી રહ્યો હતો.

        વીરુ જલ્લાદે છેલ્લા કેટલાય વખતથી ફાંસી આપી નહોતી, મફતમાં સરકારનો પગાર ખાઈ રહ્યો હતો. આજે કેટલા બધા વખત પછી વહેલી સવારના એક કેદીને ફાંસીનો ઓર્ડર આવતા તે વહેલો ચાર વાગે ઉઠી ગયો હતો, પણ તેની બુઢી માને એકદમ તાવ અને પેટનો દુખાવો ઉપાડતા આખી રાત જાગી હતી. તેણે બુમ પાડી, "બેટા, મારી તબિયત સારી નથી, આજે રજા લઇ લે. અહી મારી પાસે કોઈ નથી. તારી પત્ની અને બાબો પણ તેને પિયર બહારગામ ગયા છે, મને કઈ થઇ જશે તો શું થશે ?"

        "ના, માં આજે તો કેટલા વખતે મારે ફરજ બજાવવાની આવી છે, હું તરત કામ પતાવીને પરત આવું છું." વીરુએ માને જવાબ આપીને જેલ જવા નીકળી ગયો. તે વિચારતો હતો, જલ્દીથી ફાંસીનું કામ પતાવી મારે માને મોટા દાકતર પાસે હોસ્પિટલ લઇ જવી પડશે. એકદમ આ રાત્રે તેને શું થઇ ગયું ? ચિંતામાં તે જલ્દી કઈરીતે આવવું તે વિચારતો રહ્યો.

        ફાંસીના માંચડે ડોક્ટર, સુપરીન્ટેન્ડન્ટ, પંડિત વગેરે હાજર હતા. જલ્લાદ વીરુએ જઈ માંચડો ચેક કરી લીધો. ડોકટરે તપાસ કરી અને સુપરીન્ટેન્ડન્ટે ઓર્ડર વાંચી કેતનને ફરી સંભળાવવાનો ચાલુ કર્યો. કેતન બરાડ્યો. "બંધ કરો, જલ્દીથી મને ફાંસી આપી મુક્ત કરો." પંડિતજી ગીતા પાઠ વાંચવા ગયા, એ પણ તેણે બંધ કરાવ્યા. "કોઈનું ભલું થાજો, મને પંદર મિનીટ વહેલી તો વહેલી ફાંસી આપી દો. મારે હવે આ બનાવટી દુનિયામાં જીવવું જ નથી. આ દુનિયા ફક્ત પૈસાદારોની જ છે અને કાયદો અને ન્યાય પૈસાના જોરે જ ચાલે છે. મારા જેવા ગરીબને અહી રહેવા જેવું જ નથી."

        જેલર સાહેબે આને કેદીની અંતિમ ઈચ્છા સમજી હાથ ઉંચો કર્યો. જલ્લાદ વીરુ વિચારે ચડ્યો. "આ પંદર મીનીટમાં કોનું ભલું થવાનું છે ?" તેને પણ બુઢી માં ની ચિંતા હતી. અચાનક તે બહુ જ બીમાર કઈ રીતે પડી ગઈ, તે સમજાતું નહોતું. પણ જેલરનો ઓર્ડર થતા તેને પંદર મિનીટ વહેલા કેદીનો ચહેરો કાળા બુરખાથી ઢાંકી લીવર ખેંચી લીધું. કેતન તરફડીને શાંત થઇ ગયો. તેની આંખોના ડોળા અને જીભ બહાર નીકળી ગયા.

        વીરુ વિચારમાં પડી ગયો, મેં આ કેદીની જિંદગીની પંદર મિનીટ છીનવી લીધી કે શું ? પણ તેણે જ કહ્યું હતું, "કોઈનું ભલું થાય તો મને પંદર મિનીટ વહેલી ખલાસ કરી નાખો, પણ આ પંદર મીનીટમાં કોનું ભલું થઈ જશે? વિરુનું કામ પંદર મિનીટ વહેલું પૂરું થતા તેને માં યાદ આવતા તે ઘર તરફ દોડ્યો. માં તો બેભાન પડી હતી, ઘરમાં કોઈ નહિ, તેણે બે ત્રણ બુમો પાડી "માં, શું થાય છે તને ?" પણ કોઈ જવાબ નહિ, વીરુ ગભરાયો, મારી ગેરહાજરીમાં માને આ શું થઇ ગયું. તેને ઉપાડી જલ્દી પહોંચ્યો હોસ્પિટલે.

                પેટનો દુ:ખાવો, તાવ અને ઉલ્ટીઓ એટલે નિદાન સ્પષ્ટ હતું, "એક્યુટ એપેન્ડીસાઈટીસ". ડોકટરે જલ્દીથી દર્દીને ઓપરેશન ટેબલ પર લઇ ઓપરેશન ચાલુ કરી દીધું. વીરુ ચિંતામાં આંટા મારી રહ્યો હતો.

        કલાક પછી ચિંતાતુર ડોકટરે કહ્યું, "પરુ અંદર ફેલાઈ ગયું હતું, તાત્કાલિક ઓપરેશન કરી બધું પરુ ખેંચી લીધું છે, અંદર સેપ્ટિક થઇ જાત તો શરીરના બધા અંગો ખોટા પડી જાત. જો તમે પંદર મિનીટ મોડા આવ્યા હોત તો માજીનો કેસ ખલાસ થઇ જાત."

        જલ્લાદ વીરુ ચમકી ગયો. અચાનક તેને ફાંસી આપેલો કેતનનો માસુમ ચહેરો યાદ આવી ગયો. "મારા પંદર મિનીટ વહેલા મરવાથી કોઈનું ભલું થાજો" એ વાત મારી માં માટે જ સાચી પડી અને એની આંખમાંથી કેતનને ફાંસી બદલ અશ્રુઓ નીકળી પડ્યા. હું એ વિચારતો હતો તેને પંદર મિનીટ વહેલો મારવાથી કોને ફાયદો થવાનો ? પણ તે સાચો પડ્યો, ખરેખર તે કહેતો હતો કે હું નિર્દોષ છું તે વાત સાચી છે. અરેરે ! માતાજી, મારા હાથે એક નિર્દોષ માનવીનું મોત થઇ ગયું. પશ્ચાતાપના વાલોતમાં તે બેચેન બની ગયો અને બે વરસ વહેલું વોલ્યુન્ટરી રીટાયરમેન્ટલઇ સમાજ સેવાના કામમાં લાગી ગયો. આજે તે નિર્દોષ આપઘાત કરતા લોકોને બચી સમજાવી રહ્યો છે, જિંદગીની એકેક મીનીટ કિંમતી છે તેને વેડફો નહિ.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

વીરુ જલ્લાદ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission